- ભવિષ્ય પુરાણ પ્રમાણે ગાયમાં લક્ષ્મજી સહિત બધા જ દેવી-દેવતાઓનો વાસ હોય છે
12 નવેમ્બરના રોજ ગુરુવારે ગોવત્સ બારસ વ્રત કરવામાં આવશે. તેમાં ગાય અને તેના વાછરડાની પૂજા કરવામાં આવે છે. ભવિષ્ય પુરાણ પ્રમાણે ગાય લક્ષ્મીજીનું સ્વરૂપ છે. ગાયની આંખમાં સૂર્ય-ચંદ્ર, મુખમાં રૂદ્ર, ગળામાં વિષ્ણુ, શરીરમાં વચ્ચે બધા જ દેવી-દેવતા અને પાછળના ભાગમાં બ્રહ્માનો વાસ હોય છે. એટલે ગાય અને તેના વાછરડાની પૂજાથી લક્ષ્મીજી સહિત બધા દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. મહિલાઓ આ વ્રત પોતાના પરિવારની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના માટે કરે છે.
વ્રત અને પૂજા વિધિઃ-
- આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને વ્રત અને પૂજાનો સંકલ્પ લે છે.
- શુભ મુહૂર્તમાં ગાય અને તેના વાછરડાની પૂજા કરે છે.
- ગાયને લીલું ઘાસ અને રોટલી સહિત અન્ય વસ્તુઓ ખવડાવવામાં આવે છે.
- ગાય અને વાછરડાને સજાવવામાં આવે છે. આ દિવસે ગાયના દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવતું નથી.
- ગાયનું બધું જ દૂધ તેના વાછરડા માટે રાખવામાં આવે છે.
- ભેંસના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે.
- પૂજા પછી ઘરમાં મોટાભાગે બાજરાની રોટલી અને અંકુરિત અનાજનું શાક બનાવવામાં આવે છે.
- આ દિવસે જો ક્યાંય ગાય અને વાછરડું મળે નહીં તો ચાંદી કે માટીથી બનેલાં વાછરડાની પૂજા પણ કરી શકાય છે.
પરિવારની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રતઃ-
ગાય અને વાછરડાની પૂજાથી મહિલાઓને બાળકનું સુખ મળે છે. બાળકના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે પણ આ વ્રત કરવામાં આવે છે. પુરાણોમાં આ વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ દિવસે જે ઘરની મહિલાઓ ગૌમાતાની પૂજા કરે છે તેમનો પરિવાર સમૃદ્ધ રહે છે. આ દિવસે ગાયને રોટલી અને લીલું ઘાસ ખવડાવીને સંતુષ્ટ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આવા પરિવારમાં ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી. ગાય અને વાછરડાની પૂજા કરવાથી બધા દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પાપ દૂર થાય છે.