– બે વર્ષમાં બળાત્કારની 2720 ઘટનાઓ
– ભાજપ દ્વારા આપવામાં આવેલું ‘બેટી બચાવો’નું સૂત્ર એ ચેતવણી છે કે કેમ?: કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદ,રવિવાર
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૨૭૨૦ જેટલા બળાત્કારની ઘટના નોંધાઇ છે. આ બાબત દર્શાવે છે કે દરરોજ સરેરાશ ૩ મહિલા-દીકરીઓ બળાત્કારનો ભોગ બને છે.બેટી બચાવોનું અપાયેલું સૂત્ર શું એ ચેતવણી હતી ? તેવા નિવેદન સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલે ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની મહિલા-દીકરીઓ સલામત હોવાના દાવાની પોલ ખોલી નાખી છે તેમ જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, ‘બળાત્કારની ઘટનાઓમાં અમદાવાદમાં ૨૨% જ્યારે સુરતમાં ૪૨%નો વધારો થયો છે. નલિયાકાંડ, જામનગર જેવી ગંભીર ઘટનાઓ બાદ પણ આંધળી-બેહરી ભાજપ સરકાર કોઇ સખત પગલાં ભરવાને સ્થાને માત્ર કાગળ પર કાર્યવાહી કરવાનો સંતોષ કેમ માને છે? બે વર્ષમાં અમદાવાદમાં ૫૪૦ જ્યારે સુરતમા ૪૫૨ જેટલી બળાત્કારની ઘટનાઓ નોંધાઇ છે.
મહિલા-દીકરીઓની છેડતીની ઘટનાઓનો પણ મોટો વધારો થયો છે. ગુજરાતમાં ૧૦૪૮ જેટલી છેડતી-૫૮૯૭ અપહરણની ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે સલામત ગુજરાતના વાયદા કરતી ભાજપ સરકારમાં મહિલાઓ અસલામત બની છે.
ગુજરાતના જિલ્લામાં બે વર્ષમાં બળાત્કારની નોંધાયેલી ઘટનાઓ
જિલ્લો બળાત્કારની ઘટના
અમદાવાદ ૫૪૦
સુરત ૪૫૨
રાજકોટ ૧૫૮
બનાસકાંઠા ૧૫૧
વડોદરા ૧૩૯
કુલ ૧૪૪૦