બિહારમાં પરિસ્થિતિ પ્રવાહી છે
બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવે ત્યારે પ્રધાનપદ કે બીજા લાભ મેળવવા પોતાના ધારાસભ્યો પક્ષપલટો કરે એવો ડર કોંગ્રેસને ખૂબ સતાવી રહ્યો હતો. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના મહામંત્રી અવિનાશ પાંડે અને રણદીપ સિંઘ સૂરજેવાલાને પટણા દોડાવ્યા હતા.
રવિવારે પ્રગટ થયેલા વિવિધ એક્ઝિટ પૉલનાં પરિણામો પછી કોંગ્રેસ પક્ષ ઉત્સાહમાં આવી ગયો હતો. એક્ઝિટ પૉલમાં મહાગઠબંધન વિજયી નીવડશે એવી અટકળો વ્યક્ત કરાઇ હતી. કોંગ્રેસ પણ મહાગઠબંધનમાં ભાગીદાર છે એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસ નેતાગીરીને ડર લાગ્યો કે તેજસ્વી યાદવ સરકાર રચે તો એમાં પ્રધાનપદ મેળવવા કોંગ્રેસી ધારાસભ્યો પાટલી બદલતાં અચકાશે નહીં.
આ સંજોગોમાં હાલ મૃતપ્રાય જેવા બની ગયેલા કોંગ્રેસ પક્ષને બહુ મોટો ફટકો પડી શકે. એટલે સોનિયા ગાંધીએ અવિનાશ પાંડે અને સૂરજેવાલાને પટણા દોડાવ્યા હતા. એક્ઝિટ પૉલમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કટોકટની સ્પર્ધા થવાની આગાહી હતી. એ સંજોગોમાં કોંગ્રેસી ધારાસભ્યો એનડીએમાં જોડાવા લલચાઇ જવાની પૂરી શક્યતા હતી. મહાગઠબંધનમાં રાજદ અને ડાબેરી પક્ષોની સાથે કોંગ્રેસ છે. એનડીએમાં ભાજપ ઉપરાંત જીતનરામ માંઝીનો પક્ષ હમ, મૂકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી વગેરે છે. આમ સૌથી વધુ કટ્ટર સ્પર્ધા મહાગઠબંધન અને એનડીએ વચ્ચેજ થવાની . એનડીએને બહુમતી માટે 122ના જાદુઇ આંકડાની જરૂર પડે. એ સંજોગોમાં ભાજપની નેતાગીરી કોંગ્રેસી ધારાસભ્યોને ફોડી નાખી શકે એવો ડર કોંગ્રેસના મોવડી મંડળને હતો.