ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફિલ્મસિટી બનાવવાની જાહેરાત કરી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે ભડકી ઉઠ્યા છે અને યોગીને ચેલેન્જ આપી છે.
- ફિલ્મ સિટી મુદ્દે ભાજપ-શિવસેના વચ્ચે ટક્કર
- દમ હોય તો ફિલ્મ સિટી યુપી લઇ જઈને બતાવે : ઠાકરે
- થોડા દિવસ પહેલા યુપીમાં જ ફિલ્મ સિટી બનાવવાની યોગીએ કરી હતી જાહેરાત
ઠાકરે ધૂંઆપૂંઆ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઉત્તરપ્રદેશના CM યોગી આદીત્યનાથને ખુલી ચેલેન્જ આપતા કહ્યું કે જો હિંમત હોય તો તે ફિલ્મ સિટીને ઉત્તરપ્રદેશ લઇ જઈને દેખાડે. નોંધનીય છે કે કેટલાક મહિનાં પહેલા યોગીએ કહ્યું હતું કે દેશની સૌથી મોટી ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવશે અને ત્યારથી જ આ મુદ્દે ભાજપ-શિવસેના સામસામે છે.
ફિલ્મ સિટી મુદ્દે રાજકારણ ગરમાયું
સિનેમા જગતથી જોડાયેલા લોકો સાથે વેબિનાર દરમિયાન ઠાકરેએ ફરીવાર યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ તેમણે ફિલ્મ સિટીને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે ત્યાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે બોલિવૂડમાં ઘણી બધી સમસ્યાઓ છે જેને દૂર કરવા માટે સરકાર કામ કરી રહી છે. બોલિવૂડમાં જે સુવિધાઓની જરુર છે તે આપવામાં આવશે અને જે ભૂમિ પર દાદા સાહેબ ફાળકેએ ફિલ્મ નિર્માણની શરૂઆત કરાવી ત્યાં કોઈ પણ કમી રહેવા દઈશ નહીં.
નોંધનીય છે કે જ્યારથી યોગી આદિત્યનાથે ફિલ્મ સિટીને લઈને જાહેરાત કરી છે ત્યારથી જ શિવસેના ભડકી ઉઠી છે. અવારનવાર ફિલ્મ સિટીને લઈને તેમના નેતાઓ દ્વારા નિવેદનો સામે આવતા હોય છે ત્યારે થોડા દિવસ પહેલા જ સામના પણ છાપવામાં આવ્યું હતું કે જ્યારે લોકડાઉનના કારણે ફિલ્મ સિટી બંધ છે ત્યારે યોગીજી નવી ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી રહ્યા છે. આ બધું થવા છતાં પણ મુંબઈની ફિલ્મ સિટીનું મહત્વ ઓછું થશે નહીં.