- વરાછાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા બાદ સાયન્સ કોલેજની મંજૂરી મળી
સુરતના વરાછા વિસ્તારમાં સરકારી સાયન્સ કોલેજ બનાવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સરકારી કોલેજનું નામ કેશુભાઈ પટેલ રાખવા અંગે આજે વરાછાના લોકો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવનારી પેઢી કેશુબાપાને યાદ રાખે તે હેતુથી માંગ
4 મહિના પહેલા સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ માટે લોકો રસ્તા પર ઉતરી આવી આંદોલન કર્યું હતું. જેના પગલે વરાછામાં સરકારી સાયન્સ કોલેજની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે હવે વરાછાના લોકો દ્વારા આ સરકારી કોલેજને કેશુભાઈ પટેલનું નામ રાખવા માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. સંજયકુમાર સવાણીએ જણાવ્યું હતું કે, કોલેજનું નામ કેશુભાઈ પટેલ રાખવાની માંગણી છે. જેથી આવનારી પેઢી કેશુબાપાને યાદ રાખે.
સરકારી સાયન્સ કોલેજમાં 300 બેઠકો અપાય છે
મંજૂર કરાયેલી સરકારી વિજ્ઞાન કોલેજમાં 300 બેઠકો અપાય છે એટલે કે બે વર્ગ અપાયા છે. એક વર્ગમાં 150 વિદ્યાર્થીઓને ભણાવાશે. તે સાથે 30 વિદ્યાર્થીઓ પ્રયોગ કરી શકે એવી લેબોરેટરી બનશે. આ કોલેજમાં પહેલા અને બીજા સેમેસ્ટરની વિદ્યાર્થિની ફી રૂ. 1680 ઓછી અને વિદ્યાર્થીની ફી રૂ. 2180 આસપાસ હશે. જે પછી બીજા અને ત્રીજા વર્ષમાં અનુક્રમે 100થી 200નો વધારો થતો હોય છે.
કોલેજ માટે ધારાસભ્યો સહિતનાએ માંગ કરી હતી
વરાછામાં વિજ્ઞાન પ્રવાહ સાથે કોલેજ શરૂ કરવાની દરખાસ્ત રજૂ થઇ છે. જોકે સ્થાનીક સ્તરેથી કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીની પણ માંગ ઊઠી હતી. જે ન સમાવાતા વિદ્યાર્થીઓમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. સુરત બેઠકના 12 ધારાસભ્યો સહિત જિલ્લાના ધારાસભ્યએ પણ વરાછામાં સરકારી કોલેજ શરૂ કરવા સદનમાં માંગ કરી હતી. જે આખરે સ્વિકારી લેવામાં આવી હતી.