- મુખ્યમંત્રીએ રૂ. 4-4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી, ભોપાલ કલેક્ટરે જમીન ખોદવાની મનાઈ ફરમાવી
ભોપાલના સૂખી સેવનિયા વિસ્તારના ગ્રામ બારખેડી ગામે સોમવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં માટી ખોદનારા ચાર બાળકોના જમીન ધસી પડવાના કારણે મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ ગામના 7 બાળકો માટી ખોદવા ગયા હતા. માટી ખોદતા-ખોદતા ખાડામાં પડી ગયા હતા. અચાનક જ જમીન ધસી પાડવાના કારણે 6 બાળકો દટાઈ ગયા હતા. દટાયેલાં બાળકોને બહાર કાઢીને હમીદિયા હોસ્પિટલે ખસેડાયા હતા, પણ રસ્તામાં જ ચાર બાળકોના મૃત્યુ થયા હતા, જ્યારે બે બાળકોની હાલત ગંભીર છે.
બાળકોની ઉંમર 5 થી 12 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. જમીનમાં દટાયેલાં બાળકોમાં ત્રણ છોકરીઓ અને ત્રણ છોકરાઓનો સમાવેશ થાય છે. પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે હાજર હતા. એક બાળક બહાર ઉભો હતો, જેના કારણે તેનો બચાવ થયો હતો.
જમીન ખોદવા પર રોક
આ ઘટના બાદ ગ્રામીણ વિસ્તારમાં જમીન ખોદવા પર ભોપાલ કલેકટરે રોક લગાવી દીધી છે. મૃત બાળકોના પરિવારને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહે દુખ અને શોક સંવેદના વ્યક્ત કરી હતી.